તા. 13-11-2010, રાજકોટ
સ્વામીશ્રી રોજ પૂજામાં પધારે અથવા તો સભામાં પધારે ત્યારે હરિભક્તોની સગવડનો વિચાર પહેલો કરે છે. કોણ ક્યાં બેઠું છે ? એનું નિરીક્ષણ પણ કરી લે છે.
આજે પણ સ્વામીશ્રી પત્ર વાંચતા હતા, એ દરમ્યાન ધર્મચરણ સ્વામીને કહે : ‘અહીંના કોઠારી અને પેલા લિફ્ટવાળા સ્વામી (નિર્દોષમૂર્તિ સ્વામી) અને પેલા જાડા જેવા સાધુ છે (અક્ષરકીર્તિ સ્વામી) એ ત્રણેયને બોલાવી લ્યો.’
ત્રણેય સંતો હાજર થયા એટલે સ્વામીશ્રી કહે : ‘કોઈને પગે તકલીફ હોય, વિકલાંગ હોય એમને માટે સભામંડપમાં જે લિફ્ટ મારા માટે વપરાય છે, એનો ઉપયોગ કરો છો ને ? આ વાત મારે કરવી હતી.’
સંતો કહે : ‘ઘરડા, વૃદ્ધ, પગે તકલીફવાળા માટે લિફ્ટનો ઉપયોગ કરીએ જ છીએ.’ સ્વામીશ્રી કહે : ‘બીજી વાત એ કરવાની છે કે ભાનુભાઈ ગઢિયાને યોગીબાપાએ બહુ સાચવ્યા છે, રમાડ્યા છે, જમાડ્યા છે. એમની ઉંમર થઈ છે, એટલે જો ઘરે તકલીફ હોય તો મંદિરે જમવાની વ્યવસ્થા કરી આપવી.’
યોગીસ્વરૂપ સ્વામીએ તેઓ માટે જે કંઈ કરતા હતા એ વાત કરી. એટલે સ્વામીશ્રી રાજી થયા અને કહે : ‘તમે તો એમને ઓળખો, પણ આ બધા નવા સંતોને પણ વાત કરવી, જેથી ધ્યાન રાખે.’
વળી, સ્વામીશ્રી કહે : ‘નૈરોબીથી હર્ષદભાઈ રાણા આવ્યા છે, તો એ ક્યાં જમે છે ?’
યોગીસ્વરૂપ સ્વામી કહે : ‘બાબુભાઈ મહેતાને પૂછ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હર્ષદભાઈ રાણાનું અહીં ઘર ચાલુ છે, એટલે ઘરે જમે છે.’
વળી, યોગીસ્વરૂપ સ્વામી કહે : ‘આપે આખી જિંદગી બધાનું બહુ સાચવ્યું છે.’
સ્વામીશ્રી કહે : ‘મારા કરતાં તો યોગીબાપાએ જે સાચવ્યું છે એવું કોઈ ન સાચવી શકે. આવા વડીલ હરિભક્તો આવે એમને બોલાવવા, ચલાવવા, જમાડવામાં ધ્યાન રાખવું.’
આ રીતે લગભગ અડધો કલાક સુધી સ્વામીશ્રીએ નવા સંતોને પણ રાખ-રખાવટની વાત કરી. પોતા માટે નિર્માણ કરેલી વસ્તુ પણ હરિભક્તો માટે વપરાય, એવો વિચાર સ્વામીશ્રી સિવાય બીજું કોણ કરી શકે !
0 YOR REVIEW